ચંદ્રબાબુએ કહી દીધી સ્પષ્ટ વાત: ભારતીય ઈકોનોમિની ગતિ અટકશે નહીં, નાયડુએ કહ્યું- મોદીને સંપૂર્ણ સમર્થન રહેશે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07062024_081608_Chandrabau.webp)
- 07 Jun, 2024
લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળ્યા પછી શુક્રવારે દિલ્હીમાં સંસદીય દળની બેઠક થઈ અને તેમાં તમામે નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવ પર પોતાની મોહર લગાવી દીધી છે. ગઠબંધનના સાથી એવા તેલુગુદેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નામ પર મહોર મારતા તેમને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી. આ દરમિયાન નાયડુએ મોદી સરકારના છેલ્લા 10 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધીઓને ગણાવતા મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે દેશ ઝડપથી દુનિયામાં ત્રીજી સૌથી મોટી ઈકોનોમિ બનનાર છે.
ચંદ્રબાબુએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઈન્ડિયન ઈકોનોમિ વિશ્વમાં પાંચમી સૌથી મોટી ઈકોનોમિ બની છે. નાયડુએ વધુમાં કહ્યું કે દેશની ઈકોનોમિની આ ઝડપી ગતિ આ જ રીતે ચાલુ રહેશે અને પીએમ મોદીના નેતૃત્વમાં ભારત આ વખતે ત્રીજી સૌથી મોટી ઈકોનોમિ બનશે. એનડીએ સંસદીય દળની બેઠકમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડએ કહ્યું કે અમે બધાને અભિનંદન પાઠવી રહ્યાં છે કારણ કે અમે શાનદાર બહુમતી પ્રાપ્ત કરી છે. મેં ચૂંટણી દરમિયાન જોયું છે કે 3 મહીના સુધી પીએમ મોદીએ ક્યારેય આરામ કર્યો નથી. તેમણે દિવસ-રાત પ્રચાર કર્યો છે. તેમણે તે જ ભાવના સાથે શરૂઆત કરી અને તે જ ભાવના સાથે ખત્મ કર્યું.
આ સિવાય નીતીશ કુમારે કહ્યું કે જેડીયુનું સમર્થન વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને જાય છે. અમારું સંપૂર્ણ સમર્થન નરેન્દ્ર મોદીને રહેશે. પાંચ વર્ષ સુધી અમારો સાથ રહેશે. આગામી વખતે વધુ બહુમતી સાથે આવીશું. હવે દેશની સાથે-સાથે બિહાર ઝડપથી આગળ વધશે. સંપૂર્ણ સમર્થન કરીશું. અમે લોકો તેમની સાથે રહીશું.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ત્રીજી વખત બહુમતી પ્રાપ્ત કરી છે. એનડીએ ગઠબંધને 292 સીટ જીતી છે. જોકે ભાજપ આ વખતે બહુમતી માટે જરૂરી આંકડા સુધી પહોંચી શક્યું નથી. તેણે 240 સીટોથી જ સંતોષ કરવો પડ્યો છે. વિપક્ષના ઈન્ડિયા બ્લોકે 234 સીટો પર જીત પ્રાપ્ત કરી છે.